લેબલ્સ

Gujarat (1) Society (1)

રવિવાર, 30 ઑગસ્ટ, 2020

ન્યાય પ્રકૃતિથી મોટો ના હોઈ શકે, અને તમામ નૈતિકતા પ્રકૃતિમાંથી આવે છે



મહાત્મા ગાંધીની પૂરી લડાઈ ઉચિત અને અનુચિત કાનૂન પર આધારિત હતી. એટલે જ તેમણે કોર્ટને કહ્યું હતું, “હું સૌથી કડક સજા માટે તૈયાર છું. મને હળવી સજા ફરમાવવામાં ના આવે.”

--------------------------

ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના નાટક 'એન્ટીગોન'માં, ઓડિપસની પુત્રી એન્ટીગોન થેબેસના સમ્રાટ ક્રેઓનના આદેશનું ઉલ્લંઘન કરે છે કે તેના ભાઈ એટીઓક્લેસના હાડપિંજરને પક્ષીઓ અને ગીધોને ખાવા માટે રસ્તામાં રઝડતો મૂકી દેવામાં આવે. સમ્રાટ ક્રેઓન જ્યારે તેની પર આજ્ઞાભંગનો આરોપ લગાવે છે, ત્યારે એન્ટીગોન કહે છે- "હા, આ આદેશ મને (અકાશદેવ) ઝિયસે નથી આપ્યો. ગાંધર્વોના ન્યાયે પણ આવા કાયદા નથી ઘડ્યા. ના તો આવા આદેશમાં એવી તાકાત છે કે તેનો આધાર લઈને નશ્વર મનુષ્ય સ્વર્ગની વણલખી અને અટલ વ્યવસ્થાઓને કચડી નાખે."
સાર: મનુષ્ય પર રાજ કરવાની ન્યાયની નૈતિક સત્તા મનુષ્યના કલ્યાણમાંથી આવે. મતલબ કે જે ન્યાય મનુષ્યને અન્યાય કરે અને તેના પ્રાકૃતિક અધિકારોનું ઉલ્લંઘન કરે, તે નૈતિક રીતે અનુચિત ન્યાય કહેવાય. ન્યાય પ્રકૃતિથી મોટો ના હોઈ શકે, અને તમામ નૈતિકતા પ્રકૃતિમાંથી આવે છે. અનુચિત ન્યાય હંમેશાં ખુદને પ્રકૃતિથી ઉપરની નૈતિક સત્તા માને. એટલા માટે ઉચિત ન્યાય લોકતાંત્રિક હોય, અનુચિત ન્યાય સરમુખત્યાર હોય. ઉચિત ન્યાયનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજમાં આવે છે, પણ અનુચિત ન્યાયનો અનાદર કરવો એ નૈતિક જવાબદારી બને છે. મહાત્મા ગાંધીની પૂરી લડાઈ ઉચિત અને અનુચિત કાનૂન પર આધારિત હતી. રોમન ધર્મશાસ્ત્રી સેન્ટ ઓગસ્ટીને કહ્યુ હતું, “અનુચિત કાનૂનને કાનૂન જ ન કહેવાય.” 

1922માં અમદાવાદના બ્રિટિશ ન્યાયાધીશે મહાત્મા ગાંધીને 'યંગ ઇન્ડિયા'માં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટનો એક પત્ર છાપવા બદલ અપરાધી ઠેરવ્યા હતા અને મહાત્માએ માફી માંગવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું હતું, તેવી રીતે 60 વર્ષ પહેલાં, 'કેરળ પ્રકાશમ' નામના માલયમ દૈનિકના તંત્રી મથાઈ મંજૂરનને, સત્તાધારી કોમ્યુનિસ્ટ કાર્યકરોના હાથે માર્યા ગયેલા છ કોંગ્રેસ કાર્યકરોના સમાચાર બાબતે કેરળ હાઇકોર્ટે અદાલતની માનહાની બદલ દોષી ઠેરવીને 100 રૂપિયાનો દંડ કર્યો હતો. મથાઈએ દંડ ભરવાને બદલે ત્રિસુર જેલ જવાનું પસંદ કર્યું હતું, કારણ કે એમાં પ્રશ્ન અનુચિત કાનૂનનો અને લાખો લોકોની અભિવ્યક્તિની આઝાદીનો હતો. મથાઈ સજા ભોગવીને બહાર આવ્યા, ત્યારે તેમનું ઠેરઠેર જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અદાલતની માનહાનીના કાનૂનની એમાં જીત નહીં, હાર હતી.

વર્તમાનમાં, સુપ્રીમ કોર્ટમાં આનું જ પુનરાવર્તન થયું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરુણ મિશ્રાની બેન્ચે વરિષ્ઠ વકીલ અને કર્મશીલ પ્રશાંત ભૂષણને તેમની બે ટવીટને લઈને અદાલતની માનહાની માટે દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને તેમના વિધાનો પર પુર્નવિચાર કરવા સમય આપ્યો હતો, પણ ભૂષણે અદાલતની માફી માગવા કે વિધાનો પાછાં ખેંચવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું કે આ મામલામાં મને ખોટો સમજવામાં આવ્યો છે તેનું તેમને દુઃખ છે, "ટવીટ મારફતે મેં મારા પરમ કર્તવ્યનું પાલન કરવાનો પ્રયાસ કર્યો છે, એમાં વધુ કશું ન હતું. તેને આ સંસ્થાને બહેતર બનાવવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ. મેં જે લખ્યું હતું, તે મારો અંગત અભિપ્રાય, મારો વિશ્વાસ અને મારો વિચાર છે. આ અભિપ્રાય અને વિચાર કરવો એ મારો અધિકાર છે."

તે પછી મહાત્મા ગાંધીને ટાંકીને ભૂષણે કહ્યું, "હું દયાની ભીખ નથી માંગતો, અને ન તો હું તમારી પાસે ઉદારતાની અપીલ કરું છું. કોર્ટે મારી જે વાતને અપરાધ માની છે, તેના માટે કોઈપણ સજાને હું શિરોમાન્ય રાખીશ, પણ મારી નજરમાં તે ખોટી નથી, બલ્કે નાગરીકો પ્રત્યે મારું સર્વોચ્ચ કર્તવ્ય છે. "

ભૂષણે તેમના બચાવમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે ખટલો ગાંધીજી સામે ૧૯૨૨માં અમદાવાદમાં ચાલ્યો હતો અને મહાત્માએ તેમાં દયા માંગવાને બદલે સામેથી સજા માગી હતી. ગાંધીજીએ એમના સાપ્તાહિક 'યંગ ઇન્ડિયા'માં ત્રણ લેખ લખ્યા હતા, જે અંગ્રેજ સરકારની નજરમાં 'મહામહિમ સરકાર સામે અસંતોષ ભડકાવનારા' હતા. ગાંધીજી સામે આઈપીસીની કલમ ૧૨૪-એ નીચે રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો હતો.

૧૮ માર્ચ, ૧૯૨૨ના દિવસે અમદાવાદના સર્કીટ હાઉસમાં કોર્ટ બેસાડવામાં આવી હતી, અને ૨૦૦ લોકોની માર્યાદિત હાજરી વચ્ચે ગાંધીજી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. એમની સાથે 'સહઆરોપી' 'યંગ ઇન્ડિયા'ના તંત્રી, મુદ્રક અને પ્રકાશક શંકરલાલ ઘેલાભાઈ બેન્કર હતા. સરોજીની નાયડુ ત્યાં હાજર હતાં. એ યાદ કરીને લખે છે, "કાનુનની નજરમાં ગુનેગાર અને અપરાધી! પણ મહાત્મા ગાંધી જેવા અંદર આવ્યા, એમના સન્માનમાં આખી કોર્ટ સહજ રીતે ઉભી થઇ ગઈ."

ગાંધીજી સામે આરોપો સંભળાવવામાં આવ્યા. એમણે અને બેન્કરે અપરાધનો સ્વીકાર કર્યો. સજા સંભળાવતાં પહેલાં, સેસન્સ જજ આર.એસ. બ્રુમ્સફિલ્ડે ગાંધીજીને સજા અંગે કંઈ કહેવું હોય, તો પરવાનગી આપી હતી. ગાંધીજી બોલ્યા, "મારે કાં'તો એ વ્યવસ્થા સામે સમર્પણ કરવું પડે, જેણે મારા દેશનું બહુ અહિત કર્યું છે, અથવા લોકોના આવેશનું જોખમ ઉઠાવવું પડે, જેમને મારી સચ્ચાઈની ખબર છે. હું જાણું છું કે મારા લોકો કયારેક ઝનૂની થઇ ગયા છે. હું એના માટે દિલગીર છું, અને એટલા માટે હું સૌથી કડક સજા માટે તૈયાર છું. મને હળવી સજા ફરમાવવામાં ના આવે."

ગાંધીજીએ ત્યાં એક નિવેદન પણ વાંચી સંભળાવ્યું હતું. એમાં કલમ ૧૨૪-Aને 'ઇન્ડિયન પીનલ કોડના રાજકીય અનુચ્છેદમાં મુગટ સમાન' ગણાવીને ગાંધીજી કહ્યું હતું, "પ્રેમ કુત્રિમ રીતે પેદા કરી ના શકાય કે ના તો કાનુનથી એનું નિયમન થાય. કોઈને કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા પ્રત્યે પ્રેમ ના હોય, તો એને એ અસંતોષ વ્યક્ત કરવાની પૂરી છૂટ હોવી જોઈએ. અને ભારતના અમુક સૌથી વહાલા દેશભક્તોને જેની નીચે દોષિત ઠેરવવામાં આવ્યા છે. મને એ જ ધારા હેઠળ અપરાધી ઠરવાનું ગૌરવ છે."

નોબેલ પુરષ્કાર વિજેતા લેખક પર્લ એસ. બકે ગાંધીને યાદ કરીને કહ્યું હતું, “એ સાચા હતા, એમને ખબર હતી કે તે સાચા હતા, આપણને બધાને ખબર છે કે તે સાચા હતા. જે માણસે તેમની હત્યા કરી હતી તેને પણ ખબર હતી કે તે સાચા હતા.”

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો